Showing posts with label Independence Day. Show all posts
Showing posts with label Independence Day. Show all posts

15 August, 2021

ભારતનો 75મો સ્વતંત્રતા દિવસ

75th Independence Day
 પ્રિય વિદ્યાર્થીઓ,

ભારત દેશ પોતાનો 75મો સ્વાતંત્ર્ય પર્વ મનાવી રહ્યો છે. આજથી 75 વર્ષ પહેલા ભારત જ્યારે આઝાદ થયું તે આઝાદીની સાચી કિંમત તે સમયના લોકો જ જાણી શકે જેણે બ્રિટિશકાળમાં ગુલામી ભોગવી હોય.

આઝાદ ભારતે આ 75 વર્ષમાં અનેક ઘટનાઓ જોઇ છે જેમાં દેશનું વિભાજન, બંધારણ લાગૂ થવું, મતદાનનો અધિકાર, પ્રથમ લોકસભા ચૂંટણી, હરિત ક્રાંતિ, સફેદ ક્રાંતિ, ભારતના પાકિસ્તાન અને ચીન સાથેના યુદ્ધ, સિમલા કરાર, ચિપકો આંદોલન, પોખરણ-1, દેશનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ, કટોકટી, ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનો વિજય, ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માનું સ્પેસમાં જવું, ઓપરેશન બ્લ્યૂ સ્ટાર, ભોપાલ ગેસ દુર્ઘટના, 1991માં અર્થવ્યવસ્થાના મોટા ફેરફાર, મુંબઇ બોમ્બ ધડાકા, પોખરણ-2, કારગીલ યુદ્ધ, માહિતી અધિકાર અધિનિયમ, મનરેગા કાયદો, ત્સુનામી, ચંદ્રયાન-1, મુંબઇ આતંકવાદી હુમલો, શિક્ષણનો અધિકાર, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો, મંગળ મિશન, પોલિયો મુક્ત ભારત, ભારતની પોતાની GPS સિસ્ટમ, જીએસટી બિલ, ચંદ્રયાન-2, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદી, રામ મંદિર ચૂકાદો તેમજ કોરોના મહામારી સહિતની મહત્વપૂર્ણ ઘટનાઓનો સમાવેશ થાય છે. આપણે એમ કહી શકીએ કે આ તમામ ઘટનાઓ જોઇ, તેમાંથી શીખીને ભારત દેશ મોટો થયો છે.

કોઇપણ દેશ અથવા વ્યક્તિ હંમેશા વિકાસ કરે છે અને આગળ વધે છે તેમ ભારત દેશ પણ સતત આગળ વધતો રહ્યો છે અને આગળ વધતો રહેશે. આજે દેશે 75મો સ્વતંત્રતા દિવસ મનાવ્યો છે તે જ રીતે 25 વર્ષ બાદ 100મો સ્વતંત્રતા દિવસ મનાવશે અને ઉપરોક્ત ઘટનાઓની યાદીમાં બીજી અનેક ઘટનાઓનો ઉમેરો થશે, સમય ચાલ્યા જ કરશે, એક પેઢી જશે, બીજી આવશે અને દેશને આગળ વધારતી રહેશે.

આઝાદીના આ પર્વમાં એવા તમામ શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓના ચરણોમાં વંદન કરીએ જેમણે પોતાના બલિદાન આપી દેશને આઝાદ કર્યો અને દેશ પ્રત્યે આપણી જવાબદારીનું પાલન કરીએ જેથી દેશના એ સપૂતોનું બલિદાન એળે ન  જાય.

વંદે માતરમ્‌, ભારત માતા કી જય

15 August, 2017

જન્માષ્ઠમી અને ભારતનો 71મો સ્વતંત્રતા દિવસ

Krishna Janmasthami
ભારત માટે આજે તહેવારનો એક અનેરો સંગમ છે. એક તરફ ભારતનો 71મો સ્વાતંત્ર્ય દિવસ છે તો બીજી તરફ જેની છાપ સદીઓથી એક નટખટ, તોફાની અને માસૂમ બાળક જેવી જ રહી છે તેવા બંસીધર શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ઠમીનો તહેવાર છે.

કૃષ્ણ વિશે કંંઇ પણ લખીએ ત્યારે પ્રથમ પ્રશ્ન નામનો પણ થાય કારણ કે કૃષ્ણના સેંકડો નામ છે. કોઇ કવિ / કવિયત્રીના શબ્દોમાં આ પ્રશ્નને કંઇક આ રીતે કહી શકાય,
ઓ રે ક્‌હાન, અલ્યા કાળિયા ક્‌હાન, તારા નિત નિત નવા નામ,
કિયા નામે તને ઓળખીયે તારા કામણગારા કામ,
'તને કૃષ્ણ કહું, મોરારી કહું, તને કાનો કહું કે વ્હાલો કહું?'.
કૃષ્ણ શબ્દ બોલતા જ એક નાનું ચાર પગે ચાલતું બાળક, માખણની ચોરી કરતું બાળક, જશોદા મૈયાને હેરાન કરતું બાળક, રાક્ષસોને મારતું બાળક, યમુના કિનારે બલરામજી, સુદામા અને અન્ય મિત્રો સાથે રમત રમતું એક નટખટ બાળક, કાલી નાગને નાથી તેના પર નૃત્ય કરતું બાળક, કંસનો વધ કરતું બાળક, રાધાજી સાથે પ્રેમ કરનાર એક વ્યક્તિ, ગોપીઓ સાથે રાસ રચાવતી વ્યક્તિ, ગોકુળના નદી કિનારે ગાયો ચરાવી અને મધુર વાંસળી વગાળનાર એક ગોવાળ, મહાભારત યુદ્ધ રોકવા માટે પ્રયાસ કરનાર એક પ્રખર રાજનીતિજ્ઞ, અર્જૂનના સારથીની ભૂમિકા ભજવનાર, અર્જુનને યુદ્ધ મેદાનમાં મહાનગ્રંથ ગીતાજી સંભળાવનાર વ્યક્તિ યાદ આવે છે. આ શબ્દ બોલતા જ એક પ્રેમભાવ પ્રગટ થાય છે.

ઘણી વાર આપણે એમ વિચારીએ છીએ કે કૃષ્ણએ અર્જુનને પોતાના જ સંબંધીઓનો વધ કરવાની સલાહ આપી તો તેઓને ભગવાન કઇ રીતે કહી શકાય? પરંતુ શ્રી કૃષ્ણએ બે અલગ અલગ સત્યમાંથી એક પરમ સત્યને પસંદ કરી અર્જુનને આ સલાહ આપી છે. આ સલાહ આપતા પહેલા ભગવાને યુદ્ધ રોકવાના તમામ પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમના જીવનનું એકમાત્ર પરમ સત્ય હતું જે ગીતાજીમાં આ રીતે વર્ણવેલુ છે,
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्‌ ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥
આ સત્યને ધ્યાને રાખી અને ભગવાને અર્જુનને યુદ્ધ કરવા માટે ઉપદેશ આપ્યો હતો. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે આપણે "અસત્યથી સત્ય તરફ નથી જવાનુ પણ નિમ્ન સત્ય થી ઉચ્ચ સત્ય તરફ જવાનું છે".

કૃષ્ણ વિશે લખીએ એટલું ઓછુ છે તે જ રીતે ગીતાજી વિશે પણ સમજીએ એટલુ ઓછુ પડે. જેટલી વધુ વાર આ ગ્રંથ વાંચીએ ત્યારે દરેક વખતે કંઇક નવો સાર, નવી સમજણ થાય છે.

RIJADEJA.com વેબસાઇટના તમામ વાંચકો અને વિદ્યાર્થીઓને કૃષ્ણ જન્માષ્ઠમી અને સ્વાતંત્ર્ય દિવસની ખુબ ખુબ શુભકામનાઓ...

--R. I. Jadeja

15 August, 2016

ભારતનો 70મો સ્વાતંત્ર્ય દિવસ

15 August 1947
ભારતને આઝાદ થયે આજે 70 વર્ષ થઇ ચુક્યા છે. 1947માં અંગ્રેજોએ છોડેલા આ દેશે પ્રગતિના ઘણા સોપાનો પાર કરી લીધા છે. ઉદ્યોગ, ખેતી, મેડિકલ, શિક્ષણ, ટેક્નોલોજી, અવકાશવિજ્ઞાન, પરમાણુ વિજ્ઞાન, કલા, રમત-ગમત વગેરે ક્ષેત્રે આપણા ભારત દેશની એક આગવી છાપ છે.

પણ શું આ બધાની વચ્ચે 70 વર્ષ પહેલાની સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને ભુલી શકાય? શું એ લોકોના બલિદાન વિના આ બધુ શક્ય હતું? આવા સેનાનીઓમાં મંગલ પાંડેથી લઇની, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, બાળગંગાધર ટિળક, લાલા લજપતરાય, રામપ્રસાદ બિસ્મિલ, ગોપાલકૃષ્ણ ગોખલે, બટુકેશ્વર દત્ત, ખુદીરામ બોઝ વગેરેને ભુલી શકાય? આ બધા જ સ્વતંત્રતા સેનાનીઓએ આઝાદીની મજા નથી માણી અને મોટા ભાગના સેનાનીઓ ખુબ જ નાની ઉંમરમાં લડતા લડતા શહીદ થઇ ગયા. ખુદીરામ બોઝની જ વાત કરીએ તો 11 ઑગષ્ટ, 1908ના રોજ 18 વર્ષ અને 8 મહિનાની કુંમળી વયમાં તેઓને બ્રિટિશ સરકાર દ્વારા ફાંસી આપવામાં આવી. જે ઉંમરમાં આપણે કોલેજમાં જઇ અને મોજમસ્તી કરીએ છીએ તેવા દિવસોમાં તેમણે હંસતે મોઢે ફાંસી સ્વીકારી દેશ માટે પોતાનું બલિદાન આપ્યું.

આઝાદી મળી ગયા પછી પણ આ આઝાદી ભોગવવા માટે દેશના લાખો સૈનિકો વિષમ તાપમાનમાં ખડે પગે દેશની રક્ષા કરે છે. જો આ સૈનિકો ન હોય તો આપણે આઝાદીની મજા ક્યારેય માણી ન શકીએ. દેશના નાગરિકો શાંતિથી સુઇ શકે તેના માટે ભારતમાતાના લાખો સપૂતો સરહદો પર ચાંપતી નજર રાખીને જાગતા હોય છે.

અને સામાન્ય લોકોને પણ દેશ પ્રેમ ક્યારે આવે છે? 15મી ઑગષ્ટ અથવા તો 26 જાન્યુઆરીના દિવસે જ... અને એ પણ કેવો? પ્લાસ્ટિકના ધ્વજ વાહનમાં લગાવીને, કે જેને ફરકાવવા માટે આપણા બંધારણમાં ખુબ જ કઠણ જોગવાઈઓ છે!!! અને એ ધ્વજ પણ ક્યા સુધી???? 24 કલાક. ત્યારબાદ એ જ રાષ્ટ્રધ્વજ રોડ પર પડેલો જોવા મળે છે.

ક્રાંતિકારીઓ, સૈનિકો અને દેશ વિશે લખવા બેસીએ તો શબ્દો પણ ટૂંકા પડે અને જગ્યા પણ... સોશિયલ મીડિયામાં હાલમાં જ આવેલો એક ખુબ જ કડવો પણ સત્ય મેસેજ અહી ટાંકવાનું મન થાય છે.

લાવ જરા ઇસ્ત્રી ફેરવી દઉં દેશભક્તિને, ફક્ત આજનો દિવસ જ તો એ પહેરવાની છે! 

RIJADEJA.com વેબસાઈટના તમામ વાચક મિત્રોને 70માં સ્વાતંત્ર્ય પર્વની ખુબ ખુબ શુભકામનાઓ…
જય હિંદ, ભારત માતા કી જય

--R. I. Jadeja

15 August, 2012

૧૫ ઓગષ્ટ – સ્વતંત્રતા દિવસ કે રાષ્ટ્ર ધ્વજનુ અપમાન કરવાનો દિવસ?

Indian_flag
15મી ઓગષ્ટ, 1947 એ ભારતનો સ્વતંત્રતા દિવસ છે. આ દિવસે વર્ષો સુધી ગુલામ રહેલ ભારત આઝાદ બન્યુ હતુ અને આપણા દેશે સ્વતંત્ર વાતાવરણમાંથી શ્વાસ લેવાનુ ચાલુ કર્યુ હતુ. આજે ભારત દેશ સ્વતંત્ર થયે 65 વર્ષો વિતી ચુક્યા છે. ભારત દેશમાં બંધારણ દ્વારા નાગરિકોને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારોને મુળભૂત અધિકારો તરીકે પણ ઓળખવામાં આવે છે. એવુ કહેવાય છે કે અધિકારો વિના માનવ વિકાસ શક્ય નથી, આ કારણ થી જ આપણા બંધારણમાં નાગરિકોને અધિકારો આપવામાં આવ્યા છે. અધિકારોની સાથોસાથ આપણા બંધારણમાં નાગરિકોના કર્તવ્યોનો પણ ઉલ્લેખ છે. પરંતુ શુ આપણે જે રીતે અધિકારો ભોગવીએ છીએ તે જ બંધારણમાં આપવામાં આવેલા કર્તવ્યો નિભાવીએ છીએ?