ભારત દેશમાં હાલમાં જ યોજાયેલી લોકસભાની ચુંટણીઓ દ્વારા 30 વર્ષ બાદ સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર રચવાનો એક પક્ષને લહાવો મળ્યો છે. અત્યાર સુધીની સરકારોએ જે ન કર્યું તે કદાચ આ સરકાર કરશે તેવો એક દેખાવ હાલ ઉભો થયો હોય તેવુ જણાય છે. નવી રચાયેલી સરકાર ન્યૂઝ ચેનલોમાં અને સમાચાર પત્રોમાં તેના વિશે જોવા મળતા સમાચારો મુજબ જ જો કામ કરવાની હોય તો ભારત (હિન્દુસ્તાન) માટે એક ગર્વ લેવા જેવી વાત છે.
દરેક સરકાર પોતાનો એક એજન્ડા બનાવી અને તેના પર કાર્યો કરતી જ હોય છે. પાછલી સરકારે પણ અમુક સારા કાર્યો કર્યા જ હશે, સાથોસાથ ભ્રષ્ટાચાર જેવુ દુષણ પણ દેશને ભેંટ તરીકે આપ્યું તે પણ એક વાસ્તવિકતા છે. જો કે ભ્રષ્ટાચાર માટે ફક્ત સરકારને જ દોષ દેવો તે બાબત મારા મત અનુસાર યોગ્ય નથી કારણ કે ટ્રાફિક પોલીસ કોઇ વાહન ચાલક પાસેથી કાયદાકીય હાજર દંડ વસૂલવાને બદલે 50-60% રકમમાં પોતાનું ‘સેટીંગ’કરી લે તેમા સરકારનો કોઇ જ વાંક નથી કારણ કે 125 કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં દરેક કાયદાનું યોગ્ય રીતે પાલન થાય તે લગભગ શક્ય નથી અને કદાચ શક્ય કરવું એ સરકારના નહી પણ પ્રજાના હાથની વાત છે. પ્રજામાં જ્યા સુધી ‘સેલ્ફ ડિસીપ્લીન’ ન આવે ત્યા સુધી નાની મોટી તકલીફો રહેવાની જ. વધુમાં વૈવિધ્યતા ધરાવતા આ દેશમાં વિવિધ જાતિઓને લીધે પણ એકબીજાને નીચા દેખાડવાની ભાવના હોય છે જેને લીધે દેશમાં આંતરિક રીતે પણ ક્રાઇમ વધતો જાય છે.
દેશની સમસ્યાઓ વિશે વાત કરવા બેસીએ તો તેનો કોઇ જ અંત નથી, આપણે અહી નવી સરકાર પાસેથી જે અપેક્ષાઓ છે તેની યાદી જોવી છે. નવી સરકાર પાસે કરવા માટે ઘણા કાર્યો છે જેમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, અર્થતંત્ર સુધારવા માટેના પગલાઓ, વિકાસ વગેરે મુદ્દાઓ તો છે જ પણ જે અગત્યની અપેક્ષાઓ છે તેને આ મુજબ ગણાવી શકાય.
- કાશ્મીર મુદ્દાનું સમાધાન
- પાડોશી દેશો દ્વારા ભારતની જમીન હડપ કરવાનું કારસ્તાન કોઇપણ રીતે બંધ કરાવવું
- બાંગ્લાદેશીઓની ગેરકાયદે ઘુસપેઠ પર પ્રતિબંધ
- આતંક્વાદ વિરુદ્ધ સખત કાયદો
- પાડોશી દેશો દ્વારા થતા ગોળીબારો બંધ કરાવવા જેથી ભારતીય જવાનોની જીંદગી બચી શકે
- ભારતીય જાસૂસી સંસ્થાઓની ક્ષમતા વધારવી અને તેનો ઉપયોગ ‘ફક્ત દેશ માટે જ કરવો’
લખવા બેસીએ તો આ લિસ્ટ હજુ બમણુ કરી શકાય પણ નવી સરકાર પાસે ઉપરોક્ત મુદ્દાઓ વિશે કાર્યવાહી કરવામાં આવે તેવી આપણે આશા રાખીએ... જય હિન્દ
Share this article on Facebook!
Share this article on Facebook!
--R. I. Jadeja
