
બ્લોગનું શિર્ષક વાંચીને થોડુ આશ્ચર્ય થયું? સ્વાભાવિક રીતે કોઇને પણ થાય જ. પણ શિર્ષક બહુ વિચાર કરીને લખવામા આવ્યું છે. બ્લોગ લખનાર વ્યક્તિ પણ આસ્તિક જ છે પણ એટલો બધો આસ્તિક નથી કે શ્રદ્ધાની એ હદને ઓળંગી જાય કે, જે વિસ્તારને અંધશ્રદ્ધા નામ અપાય છે.
મુખ્ય મુદ્દા પર આવીએ તો વર્ષો પહેલા બાળ ગંગાધર તિલક દ્વારા ગણેશ ઉત્સવની શરૂઆત કરવામા આવી હતી પણ તેઓએ જે ઉદેશ્યથી આ ઉત્સવની શરૂઆત કરી હતી તે ઉદેશ્યથી વિરુદ્ધનું દૃશ્ય જ હાલના દિવસોમા જોવા મળે છે. લોકમાન્ય તિલકે લોકોને એકઠા કરવા માટે આ ઉત્સવની શરૂઆત કરી હતી અને આવુ કરવામા તેઓ સફળ રહ્યા હતા. ભારત જેવા દેશમા લોકો દેશ માટે કે પોતાના અધિકારો માટે એકઠા થાય કે ન થાય પણ ધાર્મિક બાબતોમા તેઓ એકઠા થાય જ તે વાત બાળ ગંગાધર તિલક બહુ સારી રીતે જાણતા હતા. લોકોને એકતાના તાંતણે બાંધ્યા બાદ તિલક દ્વારા સ્થપાયેલ ગણેશજીની મૂર્તિનું શું કરવુ તે પ્રશ્ન ઉભો થયો અને અંતે ભારતીય પરંપરા મુજબ તે મોટા કદની મૂર્તિને પાણીમા પધરાવી દેવામા આવી... બસ આ જ ઘટનાને લોકોએ પકડી રાખી અને આજે પણ ગણેશજીની અમુક દિવસો માટે સ્થાપના કરવામા આવે છે અને છેલ્લે પાણીમા પધરાવવામા આવે છે.
કોઇપણ રીતે ઉત્સવ મનાવવો એ માણસની પ્રકૃતિ રહી છે અને તેનો આદરપૂર્વક સ્વીકાર પણ કરવો જ જોઇએ પણ શું ગણેશ ઉત્સવમાં આપણે ધાર્મિક પરંપરા નિયમ મુજબ જાળવી શકીએ છીએ? ના. આપણે ગણેશજીની વિરાટ મૂર્તિઓને હાર માળા ચડાવવા માટે તેના પગ ઉપર પગ દઇને ચડીએ છીએ અને છેલ્લે વિસર્જન વેળાએ ભગવાનને દોરડા વડે બાંધી અને ક્રેઇનના સહારે પાણીમા ઉતારીએ છીએ. પ્લાસ્ટર ઓફ પેરિસ માટી વડે બનેલી વજનદાર મૂર્તિ સ્વાભાવિક રીતે જ સહેલાઇથી પાણીમા ન ઉતરે ત્યારે તેને ઉપરથી ધક્કા મારવામા આવે છે(!). બદનશીબે આવુ કરતી વખતે ગુજરાત સહિત ભારતના ઘણા શહેરોમાં અમુક વ્યક્તિઓ ડુબી અને પોતાનો જીવ ગુમાવ્યાના સમાચારો પણ વાંચવા મળે છે. વિસર્જનની વેળાને લગ્ન જેવો એક ઉત્સવ માની તેમા આજના યુવાનો જેને પાર્ટી કહી શકાય તેવો માહોલ બનાવે છે જેમાં અમુક જગ્યાએ દારૂ પી અને નાચવાનુ પણ શામેલ હોય છે.
ગણેશ ઉત્સવની મુખ્ય વાત કરીએ તો બાળ ગંગાધર તિલકે જે ઉદેશ્ય સાથે તેની શરૂઆત કરી હતી તે ઉદેશ્યને આપણે શું સતત રાખી શક્યા છીએ? ના. આ બાબતની નિષ્ફળતા આજે ગલીએ ગલીએ જોવા મળે છે કારણ કે એક-એક શેરીમા અલગ અલગ ગણેશ ઉત્સવ, એક જ શેરીમા 2 ગણેશ ઉત્સવ, એ જ શેરીના અલગ અલગ ઘરોમા ગણેશજીની સ્થપાયેલી અન્ય પ્રતિમાઓ તેમજ કોમર્શીયલ કોમ્પ્લેક્ષમા એક-એક ફ્લોર પર ગણેશજીની અલગ અલગ પ્રતિમાની સ્થાપના એ સ્પષ્ટ મેસેજ આપે છે કે આપણામા એકતાનો અભાવ છે...
બસ મિત્રો, હવે વધુ લખવાની કોઇ જરૂરિયાત હોય તેવુ મને લાગતુ નથી. ગણેશ ઉત્સવને આપણે ધાર્મિક રીતે અથવા તો એકતા વધારવાના હેતુથી ઉજવીએ તે જ સાચી ભક્તિ અને સાચો ધર્મ ગણાશે અન્યથા આ ઉત્સવ એક પાર્ટી બનીને રહી જશે જેમાં આપણે સૌ ‘જલસા’ કરી શકીએ...
R. I. Jadeja