ઘણા મહિનાઓ પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિશે લખવાનો મોકો મળ્યો હતો કારણ કે તે એક માત્ર એવુ બોર્ડ છે જેણે નેગેટીવ માર્કીંગની ખુબજ વિશિષ્ટ કહી શકાય તેવી ‘હાંસીપાત્ર’ વ્યવસ્થા બનાવી હતી જેમાં ખોટા જવાબ માટે નેગેટીવી માર્કીંગ હતુ તેના કરતા વધુ નેગેટીવ માર્ક પ્રશ્નને એટેમ્પ ન કરવા માટે હતું!!! મતલબ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એવુ ઇચ્છે છે કે વિદ્યાર્થીઓ તુક્કા લગાવીને જ પરીક્ષા આપે. આવા કિસ્સામા કદાચ કોઇ તુક્કાબાજના આઇડીયામા મહેનતુ વિદ્યાર્થીની જગ્યા જતી રહે તેમા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને કોઇ જ વાંધો નથી, હોય પણ કઇ રીતે? કારણ કે મંડળના કોઇ સદસ્યને વિદ્યાર્થીઓની મહેનત સાથે કોઇ જ લેવા-દેવા નથી.
આજે ઘણા સમય પછી મંડળને માર્કીંગ પદ્ધતિ સુધારવાનો મોકો મળ્યો તો સુધારો કર્યો પણ એવો સુધારો કે જે હજુ પણ ‘હાંસીપાત્ર’ જ છે. બિન-સચિવાલય ક્લાર્કની 2444 જગ્યાઓ માટેની જે ભરતીની જાહેરાત આવી તેમાં નીચે મુજબની માર્કીંગ પદ્ધતિ છે.
- એક પ્રશ્નનો એક ગુણ
- બધા પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત
- ખોટા જવાબ દીઠ -0.25 ગુણ
- દરેક ઓપ્શન સાથે ‘Not Attempted’ નામનું ઓપ્શન પણ હશે. જો ઉમેદવાર જવાબ આપવા ન ઇચ્છતો હોય તો આ ઓપ્શન ફરજિયાત પસંદ કરવુ પડશે.
- પ્રશ્નમા આપેલ વિકલ્પમાથી કોઇપણ વિકલ્પ પસંદ કરેલ નહી હોય તો -0.25 ગુણ
ઉપરોક્ત માર્કીંગ પદ્ધતિ જોતા ખ્યાલ આવે છે કે ટેક્નોલોજીના કોઇ ‘કહેવાતા’ જાણકારે બોર્ડના સદસ્યોને ગુંચવણમા નાખ્યા છે. ‘કહેવાતા જાણકાર’ શબ્દ લખવાનું કારણ એ કે ઉપર જણાવ્યા મુજબ ‘Not Attempted’ ઓપ્શન રાખવાનો તાર્કીક દૃષ્ટિએ કોઇ મતલબ જ નથી. ફક્ત અને ફક્ત વિદ્યાર્થીઓને મુંઝવણમા મુકવા અને આ પ્રકારનો ઓપ્શન ફરજિયાત પસંદ કરવામા વિદ્યાર્થીઓનો સમય બગાડવાની જ વાત છે. આ કોઇ એવી બાબત પણ નથી કે જે ટેક્નિકલી શક્ય ન હોય. પ્રોગ્રામીંગના એકદમ નાના કોડ વડે એ પ્રકારની વ્યવસ્થા કરી શકાય કે જો કોઇ પ્રશ્ન વિદ્યાર્થી એટમ્પ ન કરે તો પણ સિસ્ટમ તેને સમજી શકે પણ જ્યારે બોર્ડના સદસ્યો પાસે જ કોઇ ટેક્નિકલ જ્ઞાન ન હોય અને વ્યવસ્થિત ટેક્નિકલ માણસોનો ભેટો ન થતો હોય ત્યારે વિદ્યાર્થીઓએ આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો જ રહ્યો.
ઉપર જણાવેલ બાબતમા વિદ્યાર્થીઓ ઇચ્છે તો બોર્ડને લેખિતમા રજૂઆત કરી શકે પણ આપણા વિદ્યાર્થીઓમા પણ એ પ્રકારની જાગૃતતાનો સ્પષ્ટ અભાવ જોઇ શકાય છે તેથી આ મુદ્દે ભારતની દરેક સમસ્યાઓની જેમ એક જ રસ્તો રહે છે –ઇશ્વરને પ્રાર્થના કરવાનો. તો પછી એજ પ્રાર્થના કરીએ કે હે ઇશ્વર બોર્ડના સદસ્યોને આ મુદ્દે કંઇક ઉપાય સુજાવે અને વિદ્યાર્થીઓની આ સમસ્યાનું સમાધાન કરે.
આપ સૌની સફળતા માટે શુભકામનાઓ... કૃષ્ણજન્મની વધામણી સાથે શુભેચ્છાઓ...
